મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો છે. ગોરેગાંવમાં એક ઈમારતમાં ભીષણ આગ લાગી છે. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. આ સિવાય આગમાં 40 લોકો દાઝી ગયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગમાં 40 લોકો ઘાયલ થયા છે અને તેમને બે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગને કારણે અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 2 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ બિલ્ડિંગમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. તેની તપાસ ચાલુ છે.
રાત્રે 3 વાગે બિલ્ડિંગમાં લાગી આગ
ગોરેગાંવમાં જય ભવાની નામની બિલ્ડિંગમાં રાત્રે લગભગ 3 વાગ્યે આ આગ લાગી હતી, જેને ફાયર વિભાગ દ્વારા લેવલ 2 જાહેર કરવામાં આવી હતી. આગના કારણે અનેક ફોર વ્હીલર અને ટુ વ્હીલર બળીને રાખ થઇ ગયા હતા. બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ ધુમાડાના ગોટેગોટા ઉંચાઈ સુધી દેખાતા હતા.
આગમાં દાઝી જવાથી 7 લોકોના મોત થયા
ગોરેગાંવની આ બિલ્ડિંગમાં લાગેલી આગમાં 7 લોકોના મોત થયા છે. જેમાં 1 પુરુષ, 5 મહિલાનો સમાવેશ થાય છે. તેમાં 2 સગીર પણ છે. ઘાયલોને HBT હોસ્પિટલ અને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. 2 ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલુ
નોંધનીય છે કે HBT હોસ્પિટલમાં 25 ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે, જેમાં 12 પુરૂષો અને 13 મહિલાઓ છે. મહિલામાં એક સગીર છોકરી પણ છે. 15 લોકોને મુંબઈની કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં 6 પુરૂષો અને 9 મહિલાઓ દાખલ છે. અત્યાર સુધીમાં કુલ 46 લોકો આગનો ભોગ બન્યા હોવાના અહેવાલ છે.
અમૃતસરમાં પણ આગ લાગી
પંજાબના અમૃતસરમાં પણ આગને કારણે અકસ્માત થયો છે. ગઈકાલે રાત્રે અહીં એક દવાના કારખાનામાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.