વડાલી (સાબરકાંઠા): શિક્ષણના મંદિરમાં જ્યારે પોલીસનો પહેરો ગોઠવવો પડે ત્યારે સમજવું કે વિવાદ ગંભીર છે. સાબરકાંઠાના વડાલી તાલુકાના બાબસર ગામમાં અત્યારે કંઈક આવો જ માહોલ છે. અહીં કોઈ ગુનાખોરીને કારણે નહીં, પરંતુ વિદ્યાર્થીઓના ‘લાડીલા’ શિક્ષકોની બદલી રોકવા માટે વાલીઓએ મોરચો માંડ્યો છે. સતત બીજા દિવસે ગામલોકોએ બાળકોને શાળાએ ન મોકલી શૈક્ષણિક કાર્ય ઠપ્પ કરી દેતા તંત્ર દોડતું થયું છે.
કેમ રોષે ભરાયા છે ગ્રામજનો?
ઘટનાની વિગત એવી છે કે બાબસર પ્રાથમિક શાળામાં વર્ષોથી જ્ઞાન પીરસતા દિનેશભાઈ અને ગીતાબેન નામના બે શિક્ષકોની અચાનક બદલી કરવામાં આવી છે. આ સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરતા જ વાલીઓ મેદાને આવ્યા હતા. તેમનું માનવું છે કે આ બંને શિક્ષકોના સમર્પણને કારણે જ ગામના બાળકોનું શિક્ષણ સ્તર સુધર્યું છે. પોતાના લોકપ્રિય ‘ગુરુજી’ ને વિદાય ન આપવા માટે વિદ્યાર્થીઓ પણ મેદાને પડ્યા છે.
શિક્ષણનો બહિષ્કાર અને પોલીસ બંદોબસ્ત
ગામલોકોની આક્રમકતા જોતા શાળા કેમ્પસમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તાકીદે પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. એક તરફ પોલીસના બૂટનો અવાજ છે, તો બીજી તરફ વાલીઓની ઉગ્ર માગણીઓ. વાલીઓએ સ્પષ્ટ ચિમકી આપી છે કે, “જ્યાં સુધી આ બદલીઓ રદ કરવામાં નહીં આવે, ત્યાં સુધી શાળાના તાળા ખુલશે નહીં.” આ મામલે તાલુકા અને જિલ્લા શિક્ષણ વિભાગને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા ગ્રામજનો મક્કમ બન્યા છે.
લાગણી અને વહીવટી પ્રક્રિયા વચ્ચે ઘર્ષણ
સામાન્ય રીતે બદલી એ સરકારી પ્રક્રિયાનો ભાગ હોય છે, પરંતુ બાબસરનો કિસ્સો સાબિત કરે છે કે જો શિક્ષક નિષ્ઠાવાન હોય તો આખું ગામ તેની વહારે આવે છે. અત્યારે તો શિક્ષણ વિભાગ અને ગ્રામજનો વચ્ચે મડાગાંઠ સર્જાઈ છે. શું તંત્ર ગ્રામજનોની લાગણીને માન આપી બદલી રોકશે કે પછી પોલીસના સાયરામ વચ્ચે જ આ શિક્ષકોએ વિદાય લેવી પડશે? તે હવે જોવાનું રહ્યું.

