સુરત: ભારત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે’ (Delhi-Mumbai Expressway) પર મુસાફરી કરનારા વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા કિમ (મોતી નારોલી), ઈના અને ગણદેવા વચ્ચેના નવા સેક્શનને વાહનવ્યવહાર માટે ખુલ્લું મુકવાની સાથે જ નવા ટોલ દરોનું માળખું જાહેર કરી દેવામાં આવ્યું છે. આ નવા રૂટના પ્રારંભથી દક્ષિણ ગુજરાત અને વડોદરા વચ્ચેની કનેક્ટિવિટી વધુ વેગવંતી બનશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મુસાફરી માટે ખિસ્સું કેટલું હળવું કરવું પડશે?
નવા જાહેર કરાયેલા દરો મુજબ, જો તમે કાર, જીપ, વાન કે SUV જેવા નાના વાહનો લઈને ગંદેવા થી ઈના તરફ જઈ રહ્યા હોવ, તો તમારે 80 રૂપિયા ટોલ ચૂકવવો પડશે. જ્યારે ગણદેવાથી મોતી નારોલી (કિમ) સુધીના પ્રવાસ માટે 175 રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યા છે. સૌથી લાંબો પ્રવાસ એટલે કે ગણદેવાથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે (NE-1) સુધી જવા માટે વાહનચાલકોએ 480 રૂપિયાનો ટોલ ટેક્સ ભરવો પડશે.
ઈના એક્ઝિટ પોઈન્ટથી મુસાફરી શરૂ કરનારાઓ માટે પણ અલગ દર નક્કી કરાયા છે. ઈનાથી મોતી નારોલી જવા માટે 95 રૂપિયા અને વડોદરા (NE-1) કનેક્શન માટે 400 રૂપિયા ચુકવવાના રહેશે. બીજી તરફ, મોતી નારોલીથી વડોદરા તરફ જતી વખતે 305 રૂપિયા ટોલ લાગુ થશે. વળતી મુસાફરી માટે NHAI ના નિયમ મુજબ દોઢ ગણો ટોલ વસૂલવામાં આવશે, જોકે ફાસ્ટેગ (FASTag) ધારકોને નિયમ મુજબના લાભો મળવાનું ચાલુ રહેશે.
સુરત અને દક્ષિણ ગુજરાત માટે મહત્વનું જોડાણ
ભૌગોલિક દ્રષ્ટિએ આ સેક્શન સુરત માટે અત્યંત મહત્વનો છે. સુરત શહેર કે જિલ્લામાં આવવા માંગતા વાહનચાલકોએ ‘ઈના’ એક્ઝિટનો ઉપયોગ કરવાનો રહેશે. નિષ્ણાતોના મતે, આ એક્સપ્રેસવે કાર્યરત થવાથી જૂના નેશનલ હાઈવે-48 પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને ઈંધણ તેમજ સમયની મોટી બચત થશે. NHAI ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર ઉચ્ચ ગુણવત્તાની સુરક્ષા સુવિધાઓ અને સ્પીડ લિમિટનું કડક પાલન કરવામાં આવશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે આર્થિક વિકાસની નવી રફ્તાર
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (Delhi-Mumbai Expressway) માત્ર બે મહાનગરોને જોડતો રસ્તો નથી, પરંતુ તે ભારતના આર્થિક વિકાસની કરોડરજ્જુ સાબિત થવા જઈ રહ્યો છે. 1,386 કિમી લાંબો આ આઠ-લેનનો હાઈવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે છે. ગુજરાતમાં તેનો મોટો હિસ્સો પસાર થાય છે, જે ઔદ્યોગિક હબ ગણાતા સુરત, ભરૂચ અને વડોદરાને સીધો ફાયદો પહોંચાડશે. આ પ્રોજેક્ટથી લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થવાની અને સ્થાનિક રોજગારી વધવાની પ્રબળ શક્યતાઓ છે.
નવા ટોલ દરો લાગુ થવાથી હવે આધુનિક માર્ગ પર મુસાફરી સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. વડોદરાથી સુરત અને નવસારીના અંતરિયાળ વિસ્તારો હવે ગણતરીના સમયમાં કાપી શકાશે, જે પ્રાદેશિક વેપાર અને પર્યટન માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

